મહેસાણાની ગર્ભવતી મહિલા મેનેજરની આત્મહત્યાના ચકચારભર્યા કેસમાં બેચરાજી પોલીસે દળદાર ચાર્જશીટ ફાઇલ
મહેસાણાના કિંગ થઇને ફરતા આ કેસના મુખ્ય સૂત્રધાર આરોપીઓ પ્રદીપ સાલુ ચૌધરી અને કિર્તી પારસંગ ચૌધરી આખરે ગુજરાત હાઇકોર્ટના શરણે
મુખ્ય સૂત્રધાર આરોપી પ્રદીપ સાલુ ચૌધરીની રેગ્યુલર જામીન અરજી અને આરોપી કિર્તી પારસંગ ચૌધરીની આગોતરા જામીન અરજીમાં હાઇકોર્ટ દ્વારા સરકારપક્ષને નોટિસ – વધુ સુનાવણી આજે
બેચરાજી પોલીસે પીએમ રિપોર્ટ, કોલ ડિટેઇલ્સ અને મરનાર ગર્ભવતી મહિલા મેનેજરનો વીડિયો કે જેમાં તેણી આરોપીઓની કરતૂતનો ઉલ્લેખ કરે છે…તે મહત્વના પુરાવાઓ સાથે કુલ 177થી વધુ પાનાનું દળદાર ચાર્જશીટ ફાઇલ કર્યુ
આરોપી પ્રદીપ ચૌધરી, કિર્તી ચૌધરી અને દિક્ષીત મિસ્ત્રી આણિમંડળીએ કરોડો રૂપિયા ઉઘરાવી લોકોને રાતા પાણીએ રોવડાવ્યા
આરોપી પ્રદીપ સાલુ ચૌધરી, કિર્તી પારસંગ ચૌધરી અને દિક્ષીત કાંતિલાલ મિસ્ત્રીએ એકબીજાના મેળાપીપણામાં સાંઠગાંઠથી માત્ર ત્રણ જિલ્લાઓ મહેસાણા, ગાંધીનગર અને બનાસકાંઠામાંથી જ સાડા આઠથી નવ કરોડ જેટલી અધધધ…રકમ ઉઘરાવી લોકોને રાતા પાણીએ રોવડાવ્યા
અમદાવાદ,
મહેસાણા જિલ્લાની સમર્પણ કો.ઓ.ક્રેડિટ સોસાયટીની ગર્ભવતી મહિલા મેનેજરની આત્મહત્યાના ચકચારભર્યા અને અતિસંવેદનશીલ કેસમાં બેચરાજી પોલીસે બેચરાજી કોર્ટમાં આરોપી પ્રદીપ સાલુ ચૌધરી, દિક્ષીત કાંતિલાલ મિસ્ત્રી(સુથાર) વિરૂધ્ધ બહુ મહત્વપૂર્ણ ચાર્જશીટ ફાઇલ કરી દીધુ છે. બેચરાજી પોલીસે આ કેસમાં આરોપી કિર્તી પારસંગ ચૌધરીને નાસતો ફરતો દર્શાવ્યો છે. કારણ કે, આરોપી કિર્તી પારસંગ ચૌધરી હજુ સુધી આ કેસમાં પકડાયો નથી. જો કે, પોલીસે આરોપી કિર્તી પારસંગ ચૌધરી વિરૂધ્ધ નીચલી કોર્ટમાં કલમ-70 મુજબનું વોરંટ પણ જારી કરાવ્યું છે અને તેથી કોઇપણ પોલીસ તેની ધરપકડ કરી શકે. બીજીબાજુ, આ કેસના બંને મુખ્ય સૂત્રધાર આરોપી પ્રદીપ સાલુ ચૌધરીની રેગ્યુલર જામીન અરજી અને આરોપી કિર્તી પારસંગ ચૌધરીની આગોતરા જામીન અરજીની સુનાવણી તા.18મી ઓકટોબરે ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ એ.વાય.કોગજે સમક્ષ નીકળનાર છે. આરોપી પ્રદીપ સાલુ ચૌધરી અને આરોપી કિર્તી પારસંગ ચૌધરી કે જેઓ આ કેસના મુખ્ય સૂત્રધાર આરોપીઓ છે કે જેઓ મહેસાણાના કિંગ થઇને ફરતા હતા અને પૈસાના જોરે તેમને કોઇ કંઇ કરી શકે તેમ નથી તેવો ફાંકો રાખીને ફરતા હતા પરંતુ મહેસાણાની સમર્પણ ક્રેડિટ સોસાયટીની ગર્ભવતી મહિલા મેનેજરની આત્મહત્યા માટે દુષ્પ્રેરણનું પાપ આખરે તેમને નડી ગયુ અને આખરે હવે ગુજરાત હાઇકોર્ટના શરણે આવવુ પડયું છે.
આરોપી પ્રદીપ સાલુ ચૌધરી, કિર્તી પારસંગ ચૌધરી અને દિક્ષીત કાંતિલાલ મિસ્ત્રીએ એકબીજાના મેળાપીપણામાં સાંઠગાંઠથી માત્ર ત્રણ જિલ્લાઓ મહેસાણા, ગાંધીનગર અને બનાસકાંઠામાંથી જ સાડા આઠથી નવ કરોડ જેટલી અધધધ…રકમ ઉઘરાવી લોકોને રાતા પાણીએ રોવડાવ્યા હતા. જેમાં મહેસાણા જિલ્લાની સમર્પણ ક્રેડિટ સોસાયટીની ગર્ભવતી મહિલા મેનેજર જયોત્સનાબહેન ચૌધરીનો પણ સમાવેશ થાય છે કે જેણે ક્રેડિટ સોસાયટીના સભ્યોના કુલ મળી રૂ.66.19 લાખ આ આરોપીઓની એફએકસ બુલ કંપનીમાં રોકયા હતા અને તેના પૈસા પણ ડૂબી જતાં આખરે તેણીએ ગર્ભવતી હોવાછતાં મોત વ્હાલુ કરવુ પડયું. સાડા પાંચ મહિનાનો ગર્ભ ધરાવતી મહિલા મેનેજર જયોત્સનાબહેન ચૌધરીએ જયારે આરોપીઓને તેણીએ તેમની કંપનીમાં રોકેલા નિર્દોષ લોકોના પૈસા પાછા આપી દેવા આજીજી કરી રીતસરની કગરી હતી ત્યારે આરોપીઓએ તેણીને તારાથી થાય એ કરી લે, તારા પૈસા નહી મળે…એમ કહી હડધૂત કરીને કાઢી મૂકી હતી. જેથી આરોપીઓના કારણે નિર્દોષ લોકોના પૈસા ફસાઇ જતાં સાડા પાંચ મહિનાનો ગર્ભ ધરાવતી મહિલા મેનેજર જયોત્સનાબહેન ચૌધરીએ કેનાલમાં પડી આત્મહત્યા કરી લીધી હતી.
આ ચકચારભર્યા કેસમાં આરોપી પ્રદીપ સાલુ ચૌધરીએ રેગ્યુલર જામીન મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં કરેલી જામીન અરજીમાં અને આરોપી કિર્તી પારસંગ ચૌધરીએ કરેલી આગોતરા જામીન અરજીમાં જસ્ટિસ એ.વાય.કોગજેએ સરકારપક્ષને નોટિસ જારી છે અને કેસની વધુ સુનાવણી તા.18મી ઓકટોબરે રાખી છે. દરમ્યાન બેચરાજી પોલીસમથકના તપાસનીશ અધિકારી પીએસઆઇ એમ.જે.બારોટે આ કેસની તટસ્થ તપાસ કરીને ખૂબ જ સંવેદનશીલ એવા આ કેસમાં મહત્વપૂર્ણ ચાર્જશીટ બેચરાજી કોર્ટમાં ફાઇલ કરી દીધુ છે. જેમાં પીએમ રિપોર્ટ, કોલ ડિટેઇલ્સ અને મરનાર ગર્ભવતી મહિલા મેનેજરનો વીડિયો કે જેમાં તેણી આરોપીઓની કરતૂતનો ઉલ્લેખ કરે છે…તે મહત્વના પુરાવાઓ સાથે કુલ 177થી વધુ પાનાનું દળદાર ચાર્જશીટ ફાઇલ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આરોપી દિક્ષીત કાંતિલાલ મિસ્ત્રીના રિમાન્ડ દરમ્યાન એવી ચોંકાવનારી હકીકતો સામે આવી હતી કે, લોકોને ઉંચા વ્યાજની લાલચ અને લોભામણી સ્કીમોમાં ફસાવતી જુદી જુદી કંપનીઓ ખોલી કરોડો રૂપિયાનું ફલેકું ફેરવનાર આરોપી પ્રદીપ સાલુ ચૌધરી અને કિર્તી પારસંગ ચૌધરી આ સમગ્ર કેસમાં મુખ્ય માસ્ટરમાઇન્ડ આરોપી છે. અગાઉ શુભલક્ષ્મી ક્રેડિટ સોસાયટી સહિતની ત્રણ કંપનીઓ બંધ કર્યા બાદ આરોપીઓએ એફએકસ બુલ નામની આ 4થી કંપની ખોલી લોકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. આરોપી પ્રદીપ સાલુ ચૌધરી, કિર્તી પારસંગ ચૌધરી અને દિક્ષીત કાંતિલાલ મિસ્ત્રીએ એકબીજાના મેળાપીપણામાં સાંઠગાંઠથી માત્ર ત્રણ જિલ્લાઓ મહેસાણા, ગાંધીનગર અને બનાસકાંઠામાંથી જ સાડા આઠથી નવ કરોડ જેટલી અધધધ…રકમ ઉઘરાવી લોકોને રાતા પાણીએ રોવડાવ્યા હતા. જેમાં મહેસાણા જિલ્લાની સમર્પણ ક્રેડિટ સોસાયટીની ગર્ભવતી મહિલા મેનેજર જયોત્સનાબહેન ચૌધરીનો પણ સમાવેશ થાય છે કે જેણે ક્રેડિટ સોસાયટીના સભ્યોના કુલ મળી રૂ.66.19 લાખ આ આરોપીઓની એફએકસ બુલ કંપનીમાં રોકયા હતા અને તેના પૈસા પણ ડૂબી જતાં આખરે તેણીએ ગર્ભવતી હોવાછતાં મોત વ્હાલુ કરવુ પડયું.
આરોપી દિક્ષીત મિસ્ત્રી મહેસાણા જિલ્લાના સામેદ્રાનો વતની છે, તો, પ્રદીપ ચૌધરી જોટાણા તાલુકાના ગોકળગઢ અને આરોપી કિર્તી પારસંગ ચૌધરી પણ નજીકના ખારા ગામનો જ હોઇ આરોપીઓ આસપાસના ગામના હોવાથી પરિચિત હતા અને તેઓ શુભલક્ષ્મી ક્રેડિટ સોસાયટી સહિતની ઉપરોકત બંધ થયેલી ત્રણ કંપનીઓમાં ઉઠમણું કર્યા બાદ આ 4થી એફએકસ બુલ કંપની ખોલી માર્કેટમાંથી લોકોની પાસેથી લાખો રૂપિયા ખંખેરવાનું શરૂ કર્યું હતું. આ બંને આરોપીઓ મહેસાણાના કિંગ થઇને ફરતા હતા અને નિર્દોષ લોકોના કરોડો રૂપિયા ખંખેરી તેઓને રાતા પાણીએ રોવડાવ્યા છતાં પૈસાના જોરે તેઓને કોઇ કંઇ કરી શકે તેમ નથી તેવો ફાંકો રાખીને ફરતા હતા. આરોપી પ્રદીપ ચૌધરી આણિમંડળીએ મહેસાણા, ગાંધીનગર અને બનાસકાંઠા માત્ર એ ત્રણ જિલ્લાઓમાંથી લોકો પાસેથી સાડા આઠથી નવ કરોડ રૂપિયા ઉઘરાવી લોકોને રાતા પાણીએ રોવડાવ્યા છે. જે સંદર્ભે આરોપી પ્રદીપ સાલુ ચૌધરી, કિર્તી પારસંગ ચૌધરી અને દિક્ષીત કાંતિલાલ મિસ્ત્રી વિરૂધ્ધ જુદા જુદા પોલીસમથકોમાં ફરિયાદો પણ દાખલ થઇ છે., જેમાં ઇડરમાં રૂ.22 લાખ, ગાંધીનગર ઇન્ફોસીટી પોલીસમથકમાં રૂ.3.54 કરોડ, બી ડિવીઝન પોલીસમથકમાં રૂ.24 લાખ અને બેચરાજી પોલીસમથકમાં જયોત્સનાબહેન ચૌધરીવાળા રૂ.66.19 લાખની ઉચાપત અંગેની વિધિવત્ એફઆઇઆર દાખલ થયેલી છે. હજુ પણ સંખ્યાબંધ રોકાણકારો આરોપીઓની ઠગાઇ અને છેતરપીંડીનો ભોગ બન્યા હોઇ લોકોમાં જોરદાર આક્રોશ પ્રવર્તી રહ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદો દાખલ થવાની સંભાવના રહેલી છે.
મહેસાણાની સમર્પણ ક્રેડિટ સોસાયટીની ગર્ભવતી મહિલા મેનેજર જયોત્સનાબહેન ચૌધરીની આત્મહત્યા માટે દુષ્પ્રેરણ અંગેના ભારે ચકચારભર્યા અને અતિ સંવેદનશીલ કેસમાં મહેસાણા સેશન્સ કોર્ટે પણ આરોપી પ્રદીપ સાલુ ચૌધરીની રેગ્યુલર જામીન અરજી અને આરોપી કિર્તી પારસંગ ચૌધરીની આગોતરા જામીન અરજી આકરા વલણ સાથે ફગાવી દીધી હતી., જેને પગલે આ બંને આરોપીઓ હવે ગુજરાત હાઇકોર્ટના શરણે આવ્યા છે. આરોપી પ્રદીપ સાલુ ચૌધરીની રેગ્યુલર જામીન અરજી અને આરોપી કિર્તી પારસંગ ચૌધરીની આગોતરા જામીન અરજીની વધુ સુનાવણી તા.18મી ઓકટોબરે જસ્ટિસ એ.વાય.કોગજેની કોર્ટમાં નીકળનાર છે ત્યારે કેસની સુનાવણી ઘણી જ મહત્વપૂર્ણ બની રહેશે.