ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા “મૌન સત્યાગ્રહ” કરવામાં આવ્યો! પ્રમુખ શક્તિસિંહ સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા

રાહુલ ગાંધીના કેસમાં હાઈકોર્ટના ચુકાદાબાદ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ગાંધીઆશ્રમ પાસે મૌન ધરણાં યોજ્યા
કોંગ્રેસ પક્ષ હાઈકોર્ટના આદેશને સુપ્રિમકોર્ટમાં પડકારશે

શહેરના ગાંધી આશ્રમની પાસે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા “મૌન સત્યાગ્રહ”નું આયોજન કરવામાં આવ્યું. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને માનહાની કેસમાં હાઈકોર્ટના ચુકાદા બાદ કોંગ્રેસ દ્વારા ધરણા યોજવામાં આવ્યાં. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં પક્ષના કાર્યકરો અને નેતાઓએ મૌન ધરણાં યોજ્યાં હતાં. કોંગ્રેસના નેતાઓએ હાથ પર કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો હતો.
કોંગ્રેસના કાર્યકર્તાઓએ મૌન ધરણાં કર્યા
રાહુલ ગાંધીને મોદી સરનેમને લઈ ચાલી રહેલા માનહાની કેસમાં હાઈકોર્ટ તરફથી ઝટકો મળ્યો હતો. સુરતની સેશન્સ કોર્ટ બાદ ગુજરાત હાઈકોર્ટે પણ રાહુલ ગાંધીને રાહત નહોતી આપી અને સજા પર સ્ટે માગતી અરજીને ફગાવી દીધી હતી. કોંગ્રેસના કાર્યકરોએ અપેક્ષાથી વિપરિત નિર્ણય આવતાં વિરોધ નોંધાવ્યો છે. આ સમયે ગાંધી આશ્રમ સામે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

કોંગ્રેસ નેતાઓ દ્વારા જણાવવામાં આવ્યું કે, સામાન્ય, મધ્યમવર્ગ અને દેશના નાગરિકોના જીવનને સ્પર્શતા મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ-પ્રશ્નો માટે સતત લડતા નેતા રાહુલ ગાંધી પર રાજકીય દ્વેષભાવ રાખી તેમના અવાજને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર દેશમાં “મૌન સત્યાગ્રહ”નું કાર્યક્રમના ભાગરૂપે અમદાવાદ ખાતે ગાંધી આશ્રમ સામે ગાંધી ચિંધ્યા માર્ગે “મૌન સત્યાગ્રહ” યોજવામાં આવ્યો હતો.
દ્વેષભાવની ભાજપની રાજનીતિ પર આકરા પ્રહાર કરતા રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી જનનેતા તરીકે રાષ્ટ્ર હિતમાં ભારતના ખેડૂતો, યુવાનો, શ્રમિકો, નાના ઉદ્યોગકાર-વેપારીઓ માટે સતત અવાજ ઉઠાવે છે. જે ભાજપને મંજુર નથી. રાહુલ ગાંધીએ ક્યારેય પણ કોઈ જ્ઞાતિ, સમાજ કે ધર્મનો અપમાન કર્યું નથી. તે હંમેશા તેમને માન-સન્માન આપ્યું છે. રાહુલ ગાંધી પ્રજાહિત માટે કામ કરે છે જ્યારે બીજી તરફ મુઠ્ઠીભર લોકો માટે દેશ લુટાવાઈ રહ્યો છે. દેશના નાગરિકોના પરસેવાના કરોડો રૂપિયા ચાંઉ કરીને નિરવ મોદી, લલીત મોદી, મેહુલ ચોક્સી સહિતના ચોરોએ લુંટ ચલાવી છે. રાહુલ ગાંધી વારંવાર કહે છે કે મને જેલમાં પુરી દો, સંસદ સભ્યપદ રદ કરી દો, ઘર લઈ લો, તો પણ હું સત્ય બોલતો જ રહીશ. આજે પુજ્ય મહાત્મા ગાંધીના આશ્રમ સામે આદરણીય રાહુલ ગાંધીજીના સમર્થનમાં અમે સૌ ધરણાં ઉપર બેઠા છીએ ત્યારે કોંગ્રેસ પક્ષનો દરેક કાર્યકર રાહુલ ગાંધીના સમર્થનમાં ઉભો છે.
ઐતિહાસિક ગાંધી આશ્રમ પાસે રાહુલ ગાંધીના સમર્થનમાં આયોજીત “મૌન સત્યાગ્રહ” વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ હાઈકોર્ટના આદેશને સુપ્રિમકોર્ટમાં પડકારશે. દરેક ભારતીયના કલ્યાણ માટે અમારી પ્રતિબધ્ધતા સ્પષ્ટ છે. પછી ભલે ભાજપ અમારી સામે કોઈપણ રણનીતિ અપનાવે, ભારતમાં આવી ફાંસીવાદી શક્તિઓ વધુ લાંબા સમય સુધી ચાલી શકશે નહીં. આદરણીય રાહુલ ગાંધીને ખોટી અને બદલાની ભાવનાથી કરવામાં આવેલી ગેરલાયકાતથી સમગ્ર દેશમાં આજે ખુબ આક્રોશ છે.
ગાંધી આશ્રમ સામે આદરણીય રાહુલ ગાંધીના સમર્થનમાં આયોજીત “મૌન સત્યાગ્રહ” માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુનભાઈ મોઢવાડીયા, સિધ્ધાર્થ પટેલ, વરિષ્ઠ નેતા મધુસુદન મિસ્ત્રી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, ઉપનેતા શૈલેષ પરમાર, રાજ્ય સભા સાંસદ અમી યાજ્ઞિક, એ.આઈ.સી.સી. મંત્રી ઉષાબેન નાયડુ, રામકિશન ઓઝા, બી.એમ. સંદિપ, નિલેશ પટેલ, કાર્યકારી પ્રમુખ હિંમતસિંહ પટેલ, ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, ઉપપ્રમુખ ડૉ. જીતુભાઈ પટેલ, બિમલ શાહ, ડૉ. વિજય દવે, નીશિત વ્યાસ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, કો-કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ, પ્રવક્તા હિરેન બેંકર, પાર્થીવરાજસિંહ કઠવાડીયા, અમિત નાયક, રત્નાબેન વોરા, યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, એન.એસ.યુ.આઈ. પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, સી.જે. ચાવડા, ઈમરાન ખેડાવાલા, વરિષ્ઠ નેતા ડૉ. કનુભાઈ કલસરીયા, પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ, કનુભાઈ બારૈયા, ડૉ. ચંદ્રિકાબેન ચુડાસમા, વિરજીભાઈ ઠુંમર, ચંદ્રિકાબેન બારીયા, આનંદ ચૌધરી, મોહંમદ પીરઝાદા, ગ્યાસુદ્દીન શેખ, અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ નિરવ બક્ષી, અમદાવાદ મ્યુનિ. કોર્પો. નેતા શેહઝાદખાન પઠાણ સહિત સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં પ્રદેશ અને જીલ્લાના પદાધિકારીઓ, કાર્યકરો-આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.