દીકરી હોવાથી ત્રીજા લગ્ન ન થતા પિતાએ દીકરીની હત્યા કરી
પહેલા ઝેરી દવાના ઇન્જેક્શન આપ્યા પણ મૃત્યુ ન થતા હાંસલપુર પાસ કેનાલમાં ફેંકીન મોતને ઘાટ ઉતારી
હત્યા બાદ દીકરીનું અપહરણ થયાનો ડોળ કર્યો
સાણંદ પોલીસે આકરી પુછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો
સાણંદના ખોડા ગામમાં રહેતા સગા બાપે આચર્યુ હીચકારી કૃત્ય
અમદાવાદ:
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ખોડા ગામમાં રહેતા એક નિષ્ઠુર પિતાએ પોતાના ત્રીજા લગ્નમાં અડચણ રુપ બની રહેલી સાત વર્ષની દીકરીની હત્યા કર્યાની ચોંકાવનારી ઘટના બની છે. જેમાં આરોપીએ પહેલા તેને ઝેરી દવાનું ઇન્જેક્શન આપ્યું હતું. તેમ છંતાય, તેનું મોત ન થતા હાંસલપુર પાસેથી પસાર થતી કેનાલમાં ફેંકી દીધી હતી. સાણંદ પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
અત્યંત ધ્રુણા ઉપજાવે તેવી આ ઘટનાની વિગત એવી છે કે ધર્મેશ દેવીપૂજક નામના યુવકે ગત તારીખ 9મી જુનના રોજ પોલીસ સ્ટેશન ખાતે આવીને કહ્યું હતું કે તે દારુ પીધેલી હાલતમાં તે તેની સાત વર્ષની દીકરીને ક્યાંક ભુલી ગયો છે. બાદમાં તેણે કહ્યું હતું . બાદ ફોટો સાથે આવવાનું કહીને ફરીથી 10મી તારીખે આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે ગત 8મી તારીખે તેની દીકરી પ્રિયકાને સાયકલ અપાવવા માટે સાણંદ ખાતે આવ્યો હતો. બાદમાં થોડી ખરીદી કરી હતી. બાદમાં તે બસ સ્ટેશન પર જતો હતો. ત્યારે ત્યાં એક કાર આવી હતી અને તેમણે ચોકલેટ આપી હતી. જેથી બંને બેભાન થઇ ગયા હતા. બાદમાં તે બેભાન હાલતમાં લખતર રોડ પર હતો. જો કે પોલીસને તેની આ થિયરી પર કોઇ વિશ્વાસ ન આવતા આકરી પુછપરછ કરી હતી. જેમાં તે ભાંગી પડ્યો હતો. તેણે ચોંકાવનારી કબુલાત કરી હતી કે તેને ત્રીજા લગ્ન કરવા હતા પણ સાત વર્ષની દીકરી પ્રિયંકાને કારણે તેના લગ્ન થઇ શકતા નહોતા. જેથી તેણે દીકરીનો કાંટો કાઢવાનું નક્કી કર્યું હતું અને ગત 8મી તારીખે તેની દીકરીને લઇને સાણંદ ગયો હતો. જ્યાં તેના માટે થોડી ખરીદી કરી હતી અને ખેત પેદાશની દુકાનમાંથી ઝેરી દવા લઇને પ્રિયંકાને ઇન્જેક્શન આપ્યા હતા. પણ તેનું મરણ ન થતા તેણે હાંસલપુર પાસે કેનાલમાં ફેંકી દીધી હતી. આ કબુલાત બાદ પોલીસ તપાસ કરતા બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. અને આરોપીની પ્રથમ પત્નીની ફરિયાદને આધારે હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.