કોંગ્રેસ હવે જનમંચના માધ્યમથી વિધાનસભા વાયા લોકસભાની રણનીતિ નક્કી કરી


1લી મે ગુજરાત સ્થાપના દિવસથી થશે શરૂઆત
લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા પણ તૈયારીઓનાં શ્રી ગણેશ કર્યા છે. ત્યારે જેમાં કોંગ્રેસે જનમંચ કાર્યક્રમ લોન્ચ કર્યો છે. જેનાં માધ્યમથી કોંગ્રેસ જનતા સુધી જઈ તેઓનાં પ્રશ્નનો સાંભળશે.
ભાજપ દ્વારા લોકસભા 2024 ની તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે વિધાનસભા જેવી સ્થિતિ લોકસભામાં ન થાય તે માટે કોંગ્રેસ એલર્ટ મોડમાં છે. આજે કોંગ્રેસે જનમંચ કાર્યક્રમ લોન્ચ કર્યો હતો. જનસભાથી વિધાનસભા સુધી કોંગ્રેસ કાર્યક્રમ યોજશે. જનસભાથી વિધાનસભા સુધી કાર્યક્રમ અંગે અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, સામાન્ય લોકોનાં પ્રશ્નો સાંભળવા માટે સરકાર પાસે સમય નથી. લોકોને મંચ આપવા માટે કોંગ્રેસ કાર્યક્રમો યોજશે. તેમજ ગુજરાત સ્થાપના દિવસે કોંગ્રેસ જનમંચ પ્લેટફોર્મ આપશે. કોંગ્રેસ લોકોનો અવાજ ઉઠાવશે.

• સામાન્ય ગુજરાતી માટે “જનમંચ” કાર્યક્રમ ૧લી મે ગુજરાતના સ્થાપના દિનથી સમગ્ર ગુજરાતમાં
તાલુકે – તાલુકે કોંગ્રેસ દ્વારા શરૂઆત
• આમ જનતાના પ્રશ્નો-સમસ્યાઓ-રજુઆતો-ફરીયાદો-સુચનો-અવાજને બુલંદ કરવા “જનમંચ”
પ્લેટફોર્મ બનશેઃ શ્રી જગદીશ ઠાકોર
• ગુજરાતના યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડુતો, પીડીતો, વંચિતો, શોષીતો, ગુજરાતની
સામાન્ય જનતાએ “જનમંચ”માં ભાગ લઈ રજુ કરેલા પ્રશ્નો અને તેના સમાધાન માટે કોંગ્રેસ
કટીબધ્ધ રહેશેઃ શ્રી અમિત ચાવડા
• “જનમંચ” દ્વારા મળેલ સામાન્ય પ્રજાના પ્રશ્નો-સમસ્યાઓ-ફરીયાદોના પરીણામલક્ષી નિવારણ
માટે જનસભાથી વિધાનસભા સુધીની લડત લડીશુઃ અમિત ચાવડા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર વાર્તાને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, સામાન્ય ગુજરાતી માટે “જનમંચ” કાર્યક્રમ ૧લી મે ગુજરાતના સ્થાપના દિનથી સમગ્ર ગુજરાતમાં તાલુકે – તાલુકે કોંગ્રેસ દ્વારા શરૂઆત કરવામાં આવશે. ગુજરાતના યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડુતો, પીડીતો, વંચિતો, શોષીતોને પોતાની વાત અને સમસ્યાઓ અને પ્રશ્નો સહિત કોઈપણ ફરિયાદ હોય તેના માટેના અવાજને બુલંદ કરવા, મંચ આપવાનું “જનમંચ” પ્લેટફોર્મ બનશે. જનમંચ કાર્યક્રમ દ્વારા આવેલી સમસ્યાઓનું સમાધાન કરવા માટે કોઈપણ પ્રકારની લડાઈ લડવા માટે કોંગ્રેસ કટીબધ્ધ છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર વાર્તાને સંબોધન કરતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જંગી બહુમતિના ગુમાનમાં રાચતી ડબલ એન્જીન સરકાર ઉત્સવો-મહોત્સવો-રાજકીય એજન્ડામાં વ્યસ્ત અને ભ્રષ્ટાચારમાં મસ્ત સરકાર અને પ્રશાસન પાસે ગુજરાતની સામાન્ય જનતાના પ્રશ્નો-સમસ્યાઓ-ફરીયાદોને સાંભળવાનો સમય નથી ના તો ઈચ્છા છે. વગદાર લોકોની-વગદાર લોકો માટે કામ કરતી સરકારમાં સામાન્ય ગુજરાતીનું કોઈ સાંભળવાવાળું નથી. ત્યારે એક રચનાત્મક વિપક્ષ તરીકે વિધાનસભા કોંગ્રેસ પક્ષ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ આમ ગુજરાતીના પ્રશ્નો-સમસ્યાઓ-રજુઆતો-ફરીયાદો-સુચનો-અવાજને બુલંદ કરવા, મંચ આપવા ૧મી મે ગુજરાત સ્થાપના દિવસથી સામાન્ય ગુજરાતી માટે શરૂ કરી રહ્યા છે “જનમંચ”.
કોંગ્રેસ પક્ષ સામાન્ય ગુજરાતીને મંચ પુરો પાડશે. જ્યાં સામાન્ય ગુજરાતી જે ટેક્સ ભરે છે, મત આપે છે સામે સુવિધાઓ-વિકાસ-ન્યાય મેળવવો તેનો અધિકાર છે. યુવાનો-મહીલાઓ-ખેડૂતો-કામદારો-કર્મચારીઓ નાના વેપારીઓ-વૃધ્ધો-વિકલાંગો-મજદુરો-શોષિત-પિડિત સહિત એક એક ગુજરાતી “જનમંચ” ઉપર આવી પોતાની વાત-ફરીયાદ-સમસ્યાઓ-સુચનો રજુ કરી શકશે અને તેને બુલંદ અવાજે “જનસભાથી વધાનસભા સુધી” પહોંચાડવાનું કામ કોંગ્રેસ પક્ષ કરશે. તેઓના હક્ક-અધિકાર-ન્યાય-સન્માનની લડાઈ જનસભાથી વિધાનસભા સુધી કોંગ્રેસ પક્ષ લડશે.
ગુજરાતમાં આજે યુવાનોને મોંઘુ શિક્ષણ લીધા પછી નોકરી નથી મળતી ? ફિક્સ પગાર – કોન્ટ્રાક્ટ આઉટ સોર્સીંગમાં યુવાનોનું શોષણ થઈ રહ્યું છે. મોટા ઉદ્યોગો સ્થાનિક ૮૫ ટકા રોજગારી આપવાનો નિયમ પાળતા નથી. સરકારી ભરતીમાં વારંવાર પેપર ફુટે છે ? ડમી કાંડ અને લાંચ આપીને નોકરીઓ મળી રહી છે. મનરેગામા ૧૦૦ દિવસનો રોજગાર અને પુરતો પગાર નથી મળતો સહિતના પ્રશ્નોને “જનમંચ” કાર્યક્રમ દ્વારા ઉજાગર કરવા કોંગ્રેસ યુવાનોને આહ્વાન આપે છે.
ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતી પણ ખુબ જ ગંભિર છે ત્યારે દેશી-વિદેશી દારુ, જુગાર અને અનૈતિક પ્રવૃત્તિઓ ખુલ્લે આમ ચાલે છે, મહિલાઓની છેડતી અને અત્યાચારના બનાવો બન્યાં છે. માથાભારે લોકો દ્વારા જમીન-મીલકતો પચાવી પાડવામાં આવે છે, પ્રશાસન અને પોલીસ તંત્રને ફરીયાદ અને જાણ કરવા છતાં કાર્યવાહી થતી નથી, ગેરકાયદેસર દબાણો અને વકરેલી ટ્રાફિકની સમસ્યાથી જનતા ત્રસ્ત છે, વ્યાજ ખોરોના ત્રાસ અને કાયદો વ્યવસ્થાના દરેક પ્રશ્નોને વાચા આપીને “જનમંચ” કાર્યક્રમ દ્વારા ઉજાગર કરવા કોંગ્રેસ આહ્વાન આપે છે.
ગુજરાતમાં આરોગ્ય સેવાઓ ધ્વસ્ત થઈ ગઈ છે, સી.એચ.સી.-પી.એચ.સી. પેટા કેન્દ્રોમાં ડોક્ટર, સ્ટાફ, સાધનો કે દવાઓની ઘટ છે, ડોક્ટર અને સ્ટાફ નિયમીત આવતા નથી. સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં નિયમોથી વધારે ફી વસુલવામાં આવે છે. વિકલાંગતા અને અન્ય ફીટનેશ સર્ટીફીકેટ મેળવવામાં તકલીફ પડે છે. શાળામાં બાળકોના આરોગ્યની નિયમીત તપાસ કરવામાં આવતી નથી. કુપોષિત બાળકોને પુરતો પોષક આહાર-સારવાર આપવામાં નથી આવતી. આરોગ્ય સેવાઓ સસ્તી-સુલભ અને ફરજીયાત મેળવવા માટે કોઈ સુચનો કે નવા વિચાર રજુ કરવા સહિતના પ્રશ્નોને “જનમંચ” કાર્યક્રમ દ્વારા ઉજાગર કરવા કોંગ્રેસ જનતાને આહ્વાન આપે છે.
ગુજરાતમાં ખેડુતોને પણ મોટા પ્રમાણમાં સમસ્યાઓ થઈ રહી છે, જમીન રીસર્વે અને માપણીમાં મોટા પ્રમાણમાં ગોટાળા થયા છે, ખાતર અને બિયારણ દવાઓ મોંઘા છે અને ઉપલબ્ધ પણ નથી. ખેડુતને ઉત્પાદનના બજાર ભાવ-ટેકાના ભાવ મળતા નથી. રોઝ, ભુંડ, વાંદરા અને અન્ય જાનવરોથી પાકને નુકસાની થઈ રહી છે, કમોસમી વરસાદ અને માવઠાઓથી પાક નુકસાન થાય છે અને તેનુ વળતર પણ નથી મળતુ, સિંચાઈ માટે કેનાલની સુવિધા નથી અને કેનાલો વારંવાર તુટતી જાય છે સહિતના દરેક ખેતી લક્ષી પ્રશ્નોને “જનમંચ” કાર્યક્રમ દ્વારા ઉજાગર કરવા કોંગ્રેસ ખેડુતોને આહ્વાન આપે છે.
ગુજરાતમાં જનસેવા અને વિવિધ યોજનાઓનું અમલીકરણ સંપૂર્ણ રીતે થતુ નથી. મામલતદાર, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, કલેક્ટર કચેરી, નગરપાલિકામાં પ્રજા રોજીંદા કામ લઈને જાય ત્યારે પૈસાની માંગણી થાય છે અને કર્મચારી, અધિકારી ઉધધ વર્તન કરે છે. રેશનકાર્ડ, વિધવા, વૃધ્ધ, વિકલાંગ પેન્શન આવક, જાતિના દાખલા જેવા રોજીંદા કામો માટે ખુબ જ ધક્કા ખાવા પડે છે. મહેસુલના કામોમાં પૈસાની માંગણી થાય છે. ૧૦૦ ચો.વારના પ્લોટ, પાકુ મકાન અને બી.પી.એલ. નંબર માટે ખુબ જ ધક્કા ખાવા પડે છે વગેરે સમસ્યાઓને ઉજાગર કરવા સહિતના પ્રશ્નોને “જનમંચ” કાર્યક્રમ દ્વારા કોંગ્રેસ સામાન્ય ગુજરાતીને આહ્વાન આપે છે.
ગુજરાતમાં જનતા પોતાની સુવિધાઓ માટે નિયમીત ટેક્સ ભરે છે, છતાં પણ પાકા રસ્તાઓ નથી, હયાત રસ્તા ખખડધજ છે, ખાડાઓનું અને ભુવાઓનું સામ્રાજ્ય છે. ગટર વ્યવસ્થા અને સ્વચ્છતાનો અભાવ છે. વિજબીલ વધારે આવે છે અને પુરતી વિજળી પણ મળતી નથી જેવા મુળભુત સુવિધા મેળવવાની સમસ્યાઓ સહિતના પ્રશ્નોને “જનમંચ” કાર્યક્રમ દ્વારા ઉજાગર કરવા કોંગ્રેસ પ્રજાને આહ્વાન આપે છે.
૧લી મે થી શરૂઆત કરીને સમગ્ર ગુજરાતમાં “જનમંચ” કાર્યક્રમ દ્વારા સતત એક વર્ષ સુધી કોંગ્રેસ તાલુકે તાલુકે જશે અને ગુજરાતના યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડુતો, પીડીતો, વંચિતો, શોષીતો, ગુજરાતની સામાન્ય જનતાએ “જનમંચ”માં ભાગ લઈ રજુ કરેલા પ્રશ્નો અને તેના સમાધાન માટે કોંગ્રેસ કટીબધ્ધ રહેશે.