મૂશળધાર વરસાદમાં ડૉક્ટર અને સ્ટાફની ખીલી ઉઠી માનવતા : પ્રસુતાને મળ્યું નવજીવન

0
મૂશળધાર વરસાદમાં ડૉક્ટર અને સ્ટાફની ખીલી ઉઠી માનવતા : પ્રસુતાને મળ્યું નવજીવન
Views: 253
0 0
Spread the love
Read Time:4 Minute, 36 Second


રાતના સાડા નવ વાગ્યા હશે. ડોક્ટર હજુ તો ઘરે પહોંચીને જમીને ઊભા થયા હતા ત્યાં જ હોસ્પિટલમાંથી ઇમરજન્સી ફોન આવ્યો કે ‘જલ્દી આવો એક સગર્ભાબેનને પ્રસવની પીડા ઉપડી છે’. ડોકટરે સહેજ પણ સમય ન ગુમાવ્યો, વરસતા વરસાદમાં આળસ રાખ્યા વગર થોડીક જ વારમાં હોસ્પિટલ જવા નીકળી પડ્યા. હોસ્પિટલમાં જઈને પ્રસવની પીડાથી કણસતી સગર્ભાબેનને તપાસ્યા.

રાત્રીનો સમય હતો એટલે સ્વાભાવિક છે કે સ્ટાફ ઓછો જ હોય.. એક મેડિકલ ઓફિસર અને બીજા એક ચોથા વર્ગના કર્મચારીની મદદ લઈને ચીવટપૂર્વક પ્રસુતિ કરાવી. સુંદર બાળકનો જન્મ થયો. બાળકની માતા અને હોસ્પિટલમાં દાખલ બીજા દર્દીઓ-તેના સગા સબંધીઓમાં આનંદ છવાયો.

આ ઘટના બની હતી કરજણ તાલુકાના વલણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગઈ તા.૨૭.૭.૨૦૨૩ ના રોજ મોડી રાત્રીએ….
પછી તો થોડીવારમાં ધીમી ધારે પડતો વરસાદ મુશળધાર બનીને બારેમાસ ખાંગા થયા હોય એમ બંધ જ ન થાય. એકધાર્યા સતત ચાર કલાક સુધી વરસાદ વરસ્યો.. વલણ ગામમાં પાણી પાણી અને દવાખાનામાં તો પાંચ ફુટ જેટલું પાણી ભરાઈ ગયું હતું..બેસવા માટેના બાંકડાઓ ૫ણ ડૂબી ગયા.

આ હોસ્પિટલમાં બે પ્રસુતા તથા ગોધરાથી આવેલ એક બ્રોંકાઇટીસના દર્દી તથા બીજા એમ આઠ દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી હતી. બીજી તરફ વરસાદ વધી રહ્યો હતો તેની દરેકને ચિંતા હતી.

આમ તો ડોક્ટર કે કોઈપણ વ્યક્તિ પોતાની ફરજ પૂરી થયા બાદ ફ૨જના સ્થળેથી જતા રહેતા હોય છે પરંતુ આ ડોક્ટર પરિસ્થિતિ પામી જઈને રાત્રે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જ રોકાઈ ગયા. તેમણે જોયું કે દર્દીઓને આવા વરસાદમાં બહાર મોકલવા એ સલામત નહોતું. એમણે તમામ દર્દીઓને હોસ્પિટલમાંથી ક્યાંય બહાર જવાની ના પાડી. આ વાતાવરણમાં બહાર જવાય નહીં એટલે  ચા-નાસ્તો-પાણી કે કંઈક જમવાનું પણ કેવી રીતે અને ક્યાંથી મળે? આ જોઈને ડોક્ટરે દર્દીઓના સગા અને સ્ટાફની મદદથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જે કંઈ ચીજ-વસ્તુઓ હતી તેમાંથી ચા-નાસ્તો, જમવાનું બનાવડાવી બધાને જમવાની સુવિધા પૂરી પાડી.

મોડી રાત્રે વરસાદ બંધ થયો. સવાર સુધીમાં ધીમે ધીમે પી.એચ.સી.માં પાણીનું લેવલ થોડુંક ઓછું થયું. આ દર્દીઓને અહીં પી.એચ.સી.માંથી ઘરે પહોંચાડવા પ્રાથમિક કેન્દ્રમાં ફરજ બજાવતા મલ્ટીપર્પઝ હેલ્પ વર્કર લુકમાનભાઈ કોલાના ટ્રેક્ટરની મદદ લીધી અને બધા જ દર્દીઓને ટ્રેક્ટરમાં બેસાડી સલામત રીતે તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી.

આ માનવતાપૂર્ણ કામ કર્યું છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-વલણના તબીબી અધિક્ષક ડો.પરેશ શર્માએ. આ કામગીરીમાં આયુષ મેડિકલ ઓફિસર ડૉ. તવસ્સુર રાઠોડ અને ચોથા વર્ગના કર્મચારી ઈશ્વરભાઈ સોલંકી સતત તેમની સાથે રહ્યા હતા. .

વડોદરા જિલ્લાના કરજણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબી અધિક્ષક તરીકે ફરજ બજાવતા ડો.શર્મા પાસે વલણ પ્રા. આરોગ્ય કેન્દ્રનો વધારાનો હવાલો છે.

ડો.પરેશ શર્માને અત્યાર સુધીમાં ૫૦,૦૦૦ જેટલી પ્રસુતિઓ કરાવવાનો અનુભવ છે.  વર્ષ ૨૦૧૩ માં ભારતના અને વર્ષ ૨૦૦૭માં ગુજરાતના શ્રેષ્ઠ ગાયનેકોલોજિસ્ટ તરીકેનું સન્માન પણ પ્રાપ્ત થયેલ છે.

કપરા સંજોગોમાં પણ દર્દીઓ માટે આવી પડકારરૂપ કામગીરીથી ‘ડોકટર એ ભગવાનનું સ્વરૂપ છે’ એ ઉકિત સાર્થક કરનાર ડો. પરેશ શર્મા અને તેમના સ્ટાફની જેટલી પણ પ્રશંસા કરીએ એટલી ઓછી છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »