અમદાવાદ શહેર પોલીસ કમિશનરને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની નોટિસ

સામાજિક કાર્યકારને ધમકી આપી ડો. બાબાસાહેબ આંબેડકર વિશે અભદ્ર ટિપ્પણી કરવાના કેસમાં સમયસર ચાર્જશીટ દાખલ ન કરતા પોલીસ કમિશનરને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગનું તેંડુ આવ્યું
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર પાસે ૩૦ દિવસમાં એહવાલ માગ્યો.
અમદાવાદમાં રહેતા સામાજિક કાર્યકર યશ મકવાણાને વર્ષ ૨૦૧૯માં અજાણ્યા ઇસમ દ્વારા ફોન કરી ધમકી આપવામાં આવી હતી તથા ડો. બાબાસાહેબ આંબેડકરના વિરુદ્ધ અપમાનિત ભાષાનો ઉચ્ચારણ કરેલ જે બાબતે યશ મકવાણા દ્વારા નારોલ પોલીસ સ્ટેશન ખાતે ફ.ગુ.ર.નું : ૩૧૧૩/૨૦૧૯ થી ઇ.પી.કો. ની કલમ ૫૦૭,૨૯૪(ખ), ૨૯૫(ક) તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૨)(૫એ), ૩(૧)(વી) મુજબનો ગુનો ફરિયાદી યશ મકવાણાને ફોન કરી ધમકી આપી ડો.બાબા સાહેબ આંબડેકર વિશે અભદ્ર ટિપ્પણી કરનાર અજાણ્યા ઇસમ વિરુદ્ધ નોંધાવામાં આવેલ.
ધરપકડ બાદ જામીન મળ્યા બાદ કેસમા સ્ટે હુકમ
આ સમગ્ર કેસમાં પોલીસ દ્વારા તપાસ દરમિયાન આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના નાર ગામમાંથી મયંક ભાવેશભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ આ આરોપી દ્વારા જામીન મેળવ્યા બાદ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં કોસિંગ પિટિશન દાખલ કરેલ જેથી નામદાર ગુજરાત હાઈકોર્ટે સદર કેસમાં સ્ટે આપી હુકમ કરેલ કે “તપાસની કાર્યવાહી ચાલુ રાખીને ચાર્જશીટ ફાઇલ કરતા પહેલા નામદાર ગુજરાત હાઇકોર્ટની પરવાનગી લેવી” તે મુજબનો હુકમ કરવામાં આવ્યો હતો.
ત્રણ વર્ષથી વધુ સમય તંત્ર હાથ ઉપર હાથ રાખી બેઠું
ફરિયાદને ત્રણ વર્ષ કરતા વધુ સમય થઈ ગયેલ હોવા છતાં નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમ મુજબ પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ ન કરતા ફરિયાદી યશ મકવાણા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગમાં ફરિયાદ કરેલ. ફરિયાદમાં મકવાણાએ સવાલ ઉઠાવેલા કે, સદર ગુનો એટ્રોસીટી એક્ટ મુજબ નોંધાયેલો છે અને પ્રિવેન્શન ઓફ એટ્રોસીટીઝ એક્ટમા એસ.સી. એસ.ટી. (અત્યાચાર અટકાવવા બાબતના) નિયમો ૧૯૯૫ માં નિયમ ૭(૧)(૨)માું સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવેલ છે કે, પેટાનિયમ (૧) હેઠળ નિમાયેલા તપાસ અધીકારી સવોચ્ચ પ્રાથમિકતાથી તપાસ પુરી કરી, પોલીસ અધિક્ષકને રિપોર્ટ પ્રસ્તુત કરશે, અને તે રિપોર્ટને તુરંત રાજ્ય સરકારના પોલીસ મહાનિર્દેશક અથવા પોલીસ કમિશનરશ્રીને મોકલશે અને સંબધિત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ અધિકારી ૬૦ દિવસના સમયગાળામાં ખાસ અદાલત અથવા વિશિષ્ટ ખાસ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરશે. પરંતુ આ કેસમાં તપાસ અધિકારી દ્વારા આજદિન સુધી ચાર્જશીટ દાખલ કરવા બાબતે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી અને તપાસ અધિકારી દ્વારા જડપથી તપાસ ન કરી, ફરજ બેદરકારી દાખવી કેસને નુકશાન કરવાનો બદઈરાદાથી આ કેસના આરોપીને મદદ કરતા હોવાનું આક્ષેપ કરેલ છે.
વધુમાં ફરિયાદમાં મકવાણાએ ઉમેર્યું હતું કે, નામદાર ગુજરાત હાઇકોર્ટમાં અમે ખાનગી વકીલ રોકી શકીએ એટલા આર્થિક સધ્ધર નથી અને આવા અનેકો કેસમો આરોપીઓ દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટમાંથી સ્ટે લાવી પેન્ડિંગ સ્થિતિમાં પડેલા છે જેમાં કોઈ પ્રકારની કાર્યવાહી થઈ રહી નથી જેથી ગુનેગારોને કાયદાનો ડર રેહતો નથી જેથી તેનો ફાયદો આ કેસની જેમજ અન્ય કેસોમાં પણ આરોપીઓ ઉઠાવી રહ્યા છે અને તેમને અન્ય આવા ગુનાઓને અંજામ આપવાનું બળ મળી રહે છે.
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચની નોટિસ
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચે દેશના પ્રથમ કાયદા મંત્રી અને ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર વિશે અભદ્ર ટિપ્પણી કરવાના કિસ્સાને ધ્યાને રાખી આકરું વલણ દાખવી અમદાવાદ શહેર પોલીસ કમિશનરને નોટિસ ફટકારી ૩૦ દિવસની અંદર અત્યાર સુધી લીધેલા પગલાં અને કેસમાં થયેલી તપાસની માહિતી આપવા હુકમ કરેલ છે અને જો તેમ નહી થાય તો આયોગ દ્વારા ભારતીય બંધારણના આર્ટિકલ ૩૩૮ હેઠળ સમન્સ પાઠવીને કમિશનરને અથવા એમના પ્રતિનિધિને કોર્ટમાં હાજર રાખવા ફરજ પાડશે અને આયોગ પોતે આ કેસની તપાસ કરશે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.