શ્રી હનુમાન મંદિર કેમ્પ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘હનુમાન યાત્રા’ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું


મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શ્રી હનુમાન મંદિર કેમ્પ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘હનુમાન યાત્રા’ને શહેરના સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિરથી પ્રસ્થાન કરાવ્યું હતું. જે અવસરે આર્મીના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નરોડાના ધારાસભ્ય પાયલ કૂકરાણી, મણીનગરના ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ તેમજ કોર્પોરેટર અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, 6 એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે આજે બુધવારે શહેરના સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિરથી ‘હનુમાન યાત્રા’ નીકળી છે.
હનુમાન યાત્રાનો રૂટ
શાહીબાગ કેમ્પ હનુમાન મંદિરથી આ યાત્રા પ્રારંભ થયા બાદ શાહીબાગ, વાડજ, ઉસ્માનપુરા, આશ્રમ રોડ, પાલડી ચંદ્રનગર થઈ વાસણા વાયુદેવતાના મંદિર પહોંચશે. વાયુ દેવતાના મંદિરે ભોજન પ્રસાદ ગ્રહણ કર્યા બાદ આ યાત્રા નિજ મંદિરે જવા રવાના થશે અને ધરણીધર, માણેકબાગ, નહેરુનગર, પાંજરાપોળ ચાર રસ્તા, વિજય ચાર રસ્તા, ઉસ્માનપુરા, આરટીઓ સુભાષબ્રિજ થઈને સાંજે નિજ મંદિરે પરત ફરશે. આ યાત્રામાં શણગારેલી ટ્રકો તેમજ વિવિધ પ્રકારના ટેબલો પણ જોવા મળ્યા હતા.