અરવલ્લીનું ખેડૂત દંપતી આશાના છેલ્લા કિરણ સાથે પોતાના પાંચ મહિનાના બાળકને લઇ સિવિલ હોસ્પિટલના દ્વારે પહોંચ્યું..

જીંદગીને welcome કહીં પાછું ફર્યું
મોઢાનો ૯૫ ટકા ભાગ ટ્યુમર થી ઘેરાઇ જતાં પાંચ મહિનાનું બાળક જટીલ સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યું હતું
જડબામાં ૪*૪ સે.મી.નું ટ્યુમર સર્જરી થી દૂર કરતી વેળાએ શ્વાસ નળીમાં લોહી વહી જાય તો મોટા રિસ્કની સંભાવનાઓ હતી
પાંચ મહિનાના બાળકમાં ટયુમરની સર્જરી અત્યંત પડકારજનક હતી: અનુભવના પરિણામે સતર્કતા સાથે આ રેર સર્જરી પાર પડી -ડૉ.રાકેશ જોષી, સિવિલ સુપ્રીટેન્ડન્ટ

વિશ્વમાં ૨૦૧૮ સુધીમાં મેલેનોટિક્સ ન્યુરોએક્ટોડરમલની રેર સર્જરીના માત્ર ૫૦૦ કેસ જ નોંધાયા છે. ત્યારે અરવલ્લી જિલ્લાના ખેડૂત દંપતી માટે પોતાના પાંચ મહિનાના બાળકને પીડા મુક્ત જોવું એક સ્વપ્ન માત્ર બની ગયું હતું. જન્મજાત જડબામાં વિશાળકાય ટ્યુમર હોવાના કારણે બાળક ઘણી જ સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યું હતું. મોઢાનો ૯૫ ટકા ભાગ ટ્યુમરથી ઘેરાયેલો હોવાના કારણે માતાનું ધાવણ લેવામાં પણ બાળક સમર્થ ન હતું . જેના પરિણામે ડ્રોપર દ્વારા ટીપુ ટીપુ નાખીને ધાવણ આપવામાં આવતું હતું.
બાળકના પિતા અલ્પેશભાઇ અને માતા દક્ષાબેન અગાઉ ખાનગી હોસ્પિટલમાં પણ આ ટ્યુમરની સારવાર અર્થે ગયા. ત્યાં સર્જરી બાદ પણ સફળતા ન મળતા આ દંપતીએ આશાના છેલ્લા કિરણ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલના દ્વાર ખટખટાવ્યા….
અમદાવાદ સિવિલ મેડિસિટીની કેન્સર હોસ્પિટલમાં સૌપ્રથમ કીમો થેરાપીની એક સાયકલ આપીને આ ટ્યુમર દુર કરવાના પ્રયાસો હાથ ધરાયા પરંતુ તેમાં પણ નિષ્ફળતા મળતા અંતે અમદાવાદ સિવિલ હોસ્પિટલનું બાળ રોગ સર્જરી વિભાગ જ હવે આ સમસ્યાનો સમાધાન હોવાનો વિકલ્પ બચ્યો હતો..
સિવિલ હોસ્પિટલના બાળ રોગ સર્જરી વિભાગમાં જ્યારે આ બાળકને લાવવામાં આવ્યું ત્યારે તેનું સીટી સ્કેન કરતા જાણવા મળ્યું કે , બાળકના જડબાના ભાગમાં ૪*૪ સે.મી ની વિશાળકાય ગાંઠ છે. શરીરના એવા કોષો કે જેમાંથી વિવિધ પેશીઓનું નિર્માણ થાય છે તેવી જગ્યાએ આ ગાંઠ હતી. જેને વૈજ્ઞાનિક ભાષામાં કોષોનું ટ્યુમર કહેવાય જેને મેલેનોટિક્સ ન્યુરોએક્ટોડરમલ તરીકે ઓળખવામાં આવે છે.
સિવિલ હોસ્પિટલના તબીબોએ મોટી સર્જરી વિના આ ગાંઠને દૂર કરવાના તમામ પ્રયાસો હાથ ધર્યા તેનું આયોજન પણ કર્યું પરંતુ તેમાં કયાય સફળતાને અવકાશ રહ્યો નહીં. અંતે તબીબો દ્વારા આ ટ્યુમરને સર્જરીથી જ દૂર કરવાનું નક્કી કરવામાં આવ્યું.
બાળ રોગ સર્જરી વિભાગના વડા અને સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી અને તેમની ટીમ તેમજ એનેસ્થેસિયા વિભાગના અનીષાબેન અને તેમની ટીમ દ્વારા રેર અને જટિલ કહી શકાય તેવી સર્જરી હાથ ધરવામાં આવી. બે કલાકની ભારે જહેમતના અંતે આ સર્જરી સફળતાપૂર્વક પાર પડી.
ટ્યુમરને જ્યારે બહાર કાઢવામાં આવ્યું ત્યારે તેના રિપોર્ટ કરાતા જાણવા મળ્યું કે , આ ટ્યુમર મોઢાના અન્ય ભાગમાં પણ પ્રસરીને નુકસાન પહોંચાડી શકે તે પ્રકારનું અત્યંત સેન્સિટીવ ટ્યુમર હતું. સમયસર તેને બહાર કાઢવામાં ન આવ્યું હોત તો કોઈ પણ ક્ષણે બાળકનું મૃત્યુ થઇ શકવાની સંભાવનાઓ પ્રબળ હતી..
સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીનુ કહેવું છે કે ,નવજાત શિશુમાં આ પ્રકારની વિશાળકાય ટ્યુમરની સર્જરી અત્યંત પડકાર જનક હોય છે .આ કિસ્સાને રેર કિસ્સો કહી શકાય કારણ કે નવજાત બાળકના મોઢામાં જડબાના ભાગમાં આ સર્જરી કરવામાં ઘણું રિસ્ક રહેલું હોય છે .
ટ્યુમરની સર્જરી વખતે ઘણું બધું લોહી વહી જવાની શક્યતા રહેલી હોય છે એની સાથે સાથે એ લોહી જો શ્વાસનળીમાં જાય તો બાળકના જીવને રિસ્ક ઊભું થવાની સંભાવનાઓ હતી.
જેના પરિણામે જડબાના આજુબાજુના ભાગને પેક કરીને કોઈ પણ પ્રકારની આડઅસર ન વર્તાય તે પ્રમાણે સર્જરી હાથ ધરવામાં આવી.
આ પ્રકારના કિસ્સામાં ટ્યુમર કાઢ્યા બાદ ભવિષ્યમાં કોઈપણ પ્રકારની આડસર વર્તાય છે કે કેમ તે માટેનું ફોલો-અપ કરવું અત્યંત જરૂરી બની રહે છે. જે માટે સિવિલ હોસ્પિટલના તબીબોએ બાળકના પરિવારજનોને ક્ષમાયા અંતરે આવવા જણાવવામાં આવ્યું છે. આ સર્જરી એટલી રેર છે કે વિશ્વમાં ૨૦૧૮ સુધી માત્ર ૫૦૦ કેસ જ નોંધાયા છે.